Hero Image

ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ કેમ છે, કર્મચારીઓને શેનો ભય છે?

વર્ષ 2004 પછી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવનાર કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મુકાઈ છે, તેની સામે હવે મોડે-મોડે ગુજરાતના કર્મચારીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો થયો છે ત્યારે કૉંગ્રેસે પણ સરકારી કર્મચારીઓને પોતાની તરફ ખેંચવા આ પેન્શન સ્કીમને મુદ્દો બનાવ્યો છે.

ગુજરાત કૉંગ્રેસે પોતાના સંકલ્પપત્રમાં આ નવી પેન્શન સ્કીમ રદ કરી જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત કૉંગ્રેસે પોતાના સંકલ્પપત્રમાં આ નવી પેન્શન સ્કીમ રદ કરી જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની જાહેરાત કરી છે Getty Images ગુજરાત કૉંગ્રેસે પોતાના સંકલ્પપત્રમાં આ નવી પેન્શન સ્કીમ રદ કરી જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની વાત કરી છે- પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન સરકારે કર્મચારીઓને ઓછી લાભદાયી એવી નવી પેન્શન સ્કીમ એનપીએસ રદ કરીને જૂની સ્કીમ ફરી લાગુ કરવાની જાહેરાત કરી હતી.

આ નવી પેન્શન સ્કીમને લઈને ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ તેમના કર્મચારીઓના વિરોધનો સામનો કરી રહ્યાં છે.

છત્તીસગઢ અને ઝારખંડની સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં તો આ મુદ્દો ચૂંટણીસભાઓ ગજવી રહ્યો છે.

મધ્ય પ્રદેશ, હરિયાણામાં પણ તેને લઈને ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમની તરફથી પ્રતિક્રિયા મળી ન હતી.

જૂની અને નવી પેન્શન સ્કીમ શું છે? અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પણ સારું પેન્શન મળવું જોઈએ Getty Images અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પણ સારું પેન્શન મળવું જોઈએ તેવી માગ કરાઈ છે

જૂની પેન્શન સ્કીમ સમિતિના મહામંત્રી જિગર શાહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ વખતના છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન મળતું હતું. નવી પેન્શન યોજના પ્રમાણે, દર મહિને કર્મચારીના પગારના દસ ટકા અને સરકાર દ્વારા દસ ટકા પેન્શન ભંડોળમાં ઉમેરાય છે. આ નાણાંનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે."

''શૅરબજાર આધારિત આ રોકાણમાંથી નિવૃત્તિ વખતે 60 ટકા રકમ કર્મચારીને આપી દેવામાં આવે છે. બાકીની 40 ટકા રકમ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે તેના વ્યાજમાંથી મળતી રકમ દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે."

"ધારો કે નિવૃત્તિ સમયે 20 લાખ એકઠા થયા તો 12 લાખ રૂપિયા કર્મચારીને રોકડા મળી જાય છે અને આઠ લાખના વ્યાજમાંથી મહિને જે રકમ મળે તે દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે."

તો જૂની પેન્શન સ્કીમ સમિતિના કન્વીનર ભારતેન્દુ રાજગોર કહે છે, "નવી પેન્શન વ્યવસ્થા શૅરબજાર પર આધારિત હોવાથી કેટલું પેન્શન મળશે તેને લઈને પણ અનિશ્ચિતતા રહે છે. જેમ કે યુક્રેન યુદ્ધ પહેલાં પેન્શન મળતું હતું તેમાં શૅરબજાર ગબડતાં ઘટાડો થયો હશે. છેલ્લાં બે વર્ષમાં નિવૃત્ત થતાં કર્મચારીઓને બે-ત્રણ હજાર રૂપિયા પેન્શન મળતા જોયા પછી નવી પેન્શન યોજનાને લઈને ભ્રમ ભાંગી ગયો છે."

ભારતેન્દુ ઉમેરે છે કે 60 વર્ષ પછી જીવનનિર્વાહનો પ્રશ્ન આવીને ઊભો છે.

નવી પેન્શન સ્કીમમાં કેટલું પેન્શન મળશે તે અંગે રહસ્ય હતું. નવી પેન્શન સ્કીમ હેઠળ છેલ્લાં બે-એક વર્ષથી કર્મચારીઓ રિટાયર્ડ થઈ રહ્યા છે ત્યારે આ રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે.

ભારતેન્દુ કહે છે, "હવે લોકોને લાગી રહ્યું છે કે તેમની સાથે છળ થયું છે."

ઉદાહરણ સાથે સમજાવતાં જિગર શાહ કહે છે, "આઘાતજનક પરિણામ દર્શાવતાં વાસ્તવિક ઉદાહરણો જોઈએ તો, બેબી ગોપાલ કૃષ્ણન સિનિયર એકાઉન્ટન્ટ તરીકે 2017માં સેવા નિવૃત્ત થયા હતા. તેમનો છેલ્લો પગાર 32,900 હતો. નવી પેન્શન સ્કીમ હેઠળ તેમને 1650 રૂપિયા પ્રતિ માસ પેન્શન મળી રહ્યું છે. જૂની પેન્શન સ્કીમ હેઠળ તેમને પેન્શન પ્રતિમાસ 16,450 રૂપિયા વત્તા ડીએ મળવાપાત્ર હતું."

તેઓ ઉમેરે છે, "નવી પેન્શન સ્કીમ શૅરબજાર પર આધારિત છે અને તેમાં કર્મચારીઓની કોઈ સંમતિ લેવામાં આવતી નથી. પગારમાંથી માસિક દસ ટકાની કપાત પણ ફરજિયાત છે."

જૂની પેન્શન સ્કીમમાં નવા પગારપંચના લાભો મળે છે જે નવી પેન્શન સ્કીમમાં મળતા નથી.

પેન્શન સ્કીમ લાગુ કરવા કરવા પાછળનાં કારણો કયાં હતાં? પેન્શન યોજના 1881માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી Getty Images પેન્શન યોજના 1881માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી- પ્રતીકાત્મક તસવીર

પેન્શન યોજના 1881માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી. પારિવારિક ધંધામાં પણ તે ધ્યાન નથી આપી શકતા.

જિગર શાહ કહે છે, "સરકારી કર્મચારીની અન્ય પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. આ કારણે સરકારી કર્મચારીની નિવૃત્તિની વય સુધીમાં એક જ વિષયમાં નિષ્ણાત હોય છે."

આ સ્થિતિમાં નિવૃત્તિ પછી કર્મચારીનું શું? એ પ્રશ્નને ધ્યાનમાં રાખીને તેમના નિવૃત્તિ પછીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પેન્શન યોજના લાવવામાં આવી હતી, જેને વર્ષ 2004થી બંધ કરવી દેવામાં આવી.

સરકારી બૅન્કોમાં 2009 સુધી જૂની પેન્શન સ્કીમ ચાલુ હતી તે પછીથી બૅન્કોમાં પણ બંધ કરી દેવામાં આવી.

જૂના ધારાસભ્યોને પેન્શન મળે છે પરંતુ 2009 પછીના ધારાસભ્યોમાં પણ જૂની પેન્શન સ્કીમ હઠાવી લેવામાં આવી છે.

જૂની પેન્શન સ્કીમ હઠાવવા પાછળ તર્ક કેવા અપાયા? સરકારની એવી દલીલ છે કે જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાથી સરકારને બહુ આર્થિક નુકસાન જાય છે Getty Images સરકારની એવી દલીલ છે કે જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાથી સરકારને બહુ આર્થિક નુકસાન જાય છે (પ્રતીકાત્મક તસવીર)

સરકારની એવી દલીલ છે કે 'જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાથી સરકારને બહુ આર્થિક નુકસાન જાય છે. કર્મચારીઓ જેટલું લાંબું જીવે એટલું સરકારી તિજોરી માથે ભારણ વધે. ઘણી વાર તો કર્મચારીને ચૂકવેલા પગાર કરતા પેન્શન વધી જાય છે.'

જૂની પેન્શન સ્કીમમાં ઉંમર પ્રમાણે પેન્શનની ટકાવારી હતી. ઉદાહરણ તરીકે 75 વર્ષથી ઉપર ગયેલા નિવૃત્ત કર્મચારીને પગારના 60 ટકા પેન્શન મળે અને 85 વર્ષ ઉપર જાય તો પેન્શન 80 ટકા થઈ જાય.

આ બધાં કારણો આગળ ધરીને સરકારે જૂની પેન્શન યોજના નાબૂદ કરી છે.

જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગણીને લઈને બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણી અને નાણામંત્રી કનુ દેસાઈનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિભાવ મેળવી શકાયો નહોતો.

  • યુક્રેનમાં જ્યારે ફૈસલે કમલ માટે ફ્લાઇટ છોડી દીધી-યુપીના બે મિત્રોની કહાણી
  • પેન્શન રાજ્યનો વિષય છે કે કેન્દ્રનો? મહારાષ્ટ્ર સરકારે પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત કરી છે Getty Images મહારાષ્ટ્ર સરકારે પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત કરી છે- પ્રતીકાત્મક તસવીર

    ભારતેન્દુ રાજગોર કહે છે, "વાજપેયી સરકારના સમયમાં 2004માં નવી પેન્શન સ્કીમ લાગુ પાડવામાં આવી. જે રાજ્યોમાં ભાજપની સરકાર હતી ત્યાં નવી પેન્શન સ્કીમ લાગુ પડતી ગઈ. છેલ્લે 2018માં ઉત્તરપૂર્વનાં રાજ્યો મણિપુર અને નાગાલૅન્ડમાં પણ લાગુ પાડી દેવાઈ."

    રાજ્યના કર્મચારીઓનું પેન્શન રાજ્ય સરકારનો વિષય છે અને કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન કેન્દ્ર સરકારનો વિષય છે. રાજ્યના કર્મચારીઓને રાજ્યની તિજોરીમાંથી જ નાણાં આપવામાં આવે છે.

    જિગર શાહ કહે છે, "રાજસ્થાન સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરી એટલે સાબિત થયું કે પેન્શન રાજ્યનો વિષય છે. બાકી અમે 2014થી ગુજરાત સરકાર સમક્ષ જૂની પેન્શન યોજના લાગુ પાડવા માટે રજૂઆત કરતા આવ્યા છીએ."

    "અને અમને દર વખતે એમ કહીને ચૂપ કરાવી દેવામાં આવતા હતા કે આ તો કેન્દ્ર સરકારનો વિષય છે."

    ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે નવી પેન્શન યોજના અંતર્ગત NPS હેઠળ ભેગી થયેલી તમામ રકમ પૈકી 60 ટકા રકમ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ વખતે એકસામટી મળી જતી હોય છે, પરંતુ તેમાં દસ ટકા ફાળો તો કર્મચારીનો જ છે. જ્યારે અગાઉની યોજનામાં આવું નહોતું. તેમજ જરૂરિયાત પડે ત્યારે આ ભંડોળમાંથી નાણાં ઉપાડવાની પણ કોઈ જોગવાઈ નથી.

    તેમણે કહ્યું કે, "જૂની પેન્શન યોજનામાં પેન્શનની કુલ રકમમાં મોઘવારી ભથ્થાનો લાભ મળતો જે હાલની યોજનામાં નથી મળતો. તેમજ આ લોકોની મરણમૂડી છે અને તેને શૅરબજારમાં રોકવામાં આવે છે, જેના કારણે બજારનાં પરિબળોની માઠી અસર પેન્શનની કુલ રકમ પર પડવાની સંભાવનાથી કર્મચારીઓની ચિંતામાં વધારો થયો છે."

    ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પશ્ચિમ બંગાળ જ એકમાત્ર એવું રાજ્ય છે જેમણે જૂની પેન્શન સ્કીમ જ ચાલુ રાખી છે, નવી પેન્શન સ્કીમ અપનાવી નથી. હવે રાજસ્થાનનો પણ તેમાં સમાવેશ થવા જઈ રહ્યો છે.

    ઝારખંડમાં હેમંત સોરેને જૂની પેન્શન યોજનાને લાગુ પાડવાનું ચૂંટણીવચન આપ્યું છે. હેમંત સોરેને ટ્વીટ કરીને ફરી એક વાર આ વાતની પુષ્ટિ કરી છે.

    મહારાષ્ટ્ર સરકારે પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત કરી છે.

    જિગર શાહ કહે છે, "અમે વર્ષ 2014થી કર્મચારીઓ ગુજરાત સરકાર પાસે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરતા આવ્યા છીએ."

    ''અમે તમામ ધારાસભ્યોને આવેદન સ્વરૂપે રજૂઆતો કરી ચૂક્યા છીએ. અમદાવાદ રેલવેસ્ટેશન, ગાંધીધામ રેલવેસ્ટેશન, બચત ભવન વગેરે સ્થળોએ સભાઓ કરી. છેલ્લે ગત મહિને સુરતમાં સભા ભરી હતી."

    "હવે કર્મચારીઓમાં જાગૃતિ આવી રહી છે. કર્મચારીઓમાં જાગૃતિ મોડી આવી તેનું કારણ એ છે કે તેઓ આ વિષયને સમજ્યા જ નહોતા. તાલીમ આપવા આવતાં અધિકારીઓ પણ નવી પેન્શન યોજનાના ભારોભારો વખાણ કરતાં હતાં."

    "પરંતુ બે-એક વર્ષોથી નવી પેન્શન યોજનાનાં પરિણામો આવવાનું શરૂ થયાં અને 1200-1500 રૂપિયાના પેન્શન મળવાના સમાચારો સામે આવતાં તેઓ સફાળા જાગ્યા છે."

    નવી પેન્શન યોજના સરકાર માટે પણ નુકસાનકારક માનવામાં આવે છે. શૅરબજાર આધારિત આ વ્યવસ્થા સંપૂર્ણ અસુરક્ષિત અને અસ્થિર છે. સરકારે આ ફંડમાં દસ ટકા નાણાં ઉમેરીને એનએસડીએલમાં જમા કરાવી દેવાં પડે છે.

    ભારતેન્દુ ઉમેરે છે, "ભૂતકાળમાં સરકાર વિકાસ કાર્યોમાં પેન્શન યોજનાનાં નાણાં વાપરી શકતી હતી. કર્મચારીના દસ ટકાથી લઈને 50 ટકા સુધી જમા કરાવી શકતા અને એ નાણાં સરકાર પાસે રહેતાં હતાં."

    પેન્શન કેમ જરૂરી છે?

    અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર હેમંતકુમાર શાહ કહે છે, "જૂની પેન્શન યોજના ચાલુ કરવી જોઈએ. પેન્શનથી લોકો નિશ્ચિંત રીતે જીવન જીવી શકે છે. "

    "પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઇટી પછી પેન્શન ત્રીજો નિવૃત્તિ લાભ છે. 60 વર્ષ પછી પેન્શન આપીને દેશની 40 કરોડની વસ્તી અને એમના પરિવારને શાંતિ પ્રદાન કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પણ સારું પેન્શન મળવું જોઈએ."

    તેઓ ઉમેરે છે, "ઔધોગિક કર્મચારીઓ માટે પેન્શનની સારી યોજના નથી. મારા પિતરાઈ ભાઈ અમદાવાદની જાણીતી ટેક્સ્ટાઇલ મિલમાં 35 વર્ષ સુધી ટેક્સ્ટાઇલ ઇજનેર તરીકે સેવા આપીને નિવૃત્ત થયા. નિવૃત્તિ વખતે તેમનો પગાર 70 હજાર જેટલો હતો અને તેમને હાલ પેન્શન તરીકે 2,625 રૂપિયા મળે છે. આ મજાક છે."