Hero Image

અમેરિકાને ઈમિગ્રન્ટ્સ વગર નહીં ચાલે, નહીંતર ઈકોનોમી લટકી જશે

અમેરિકામાં બહારથી આવીને વસતા ઈમિગ્રન્ટ્સનો મુદ્દો દરેક ચૂંટણી વખતે ચમકે છે અને કેટલાક નેતાઓ તેને મોટો રાજકીય મુદ્દો બનાવી દે છે. ઉદાહરણ તરીકે હાલમાં પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સ વિરોધી વલણ અપનાવ્યું છે. જોકે, અમેરિકાના એક્સપર્ટ્સ કહે છે કે ઈમિગ્રન્ટ્સ વગર તેમને ચાલે તેમ નથી. તેનું કારણ છે કે અમેરિકામાં મોટા ભાગના વિસ્તારોમાં લોકોની સરેરાશ વય વધારે છે અને ઈકોનોમીને ટેકો આપવો હોય તો ઈમિગ્રેશનના દરવાજા ખોલવા પડશે.
વોશિંગ્ટન પોસ્ટનો અહેવાલ જણાવે છે કે ઘણા વિસ્તારો એવા છે જ્યાં ઈમિગ્રન્ટ આવ્યા ન હોત તો તેની વસતી વધવાના બદલે ઘટી હોત. ઉદાહરણ તરીકે રોડ આઈલેન્ડના પ્રોવિડન્સ શહેરમાં 2020થી વસતી જેમની તેમ છે. આ શહેરમાં 8300 માઈગ્રન્ટ આવ્યા ન હોત તો ગયા વર્ષે વસતી 1.30 ટકા ઘટી ગઈ હોત. ઈન્ડિયાનામાં સાઉથ બેન્ડ ખાતે સ્થાનિક લોકો શહેર છોડીને જઈ રહ્યા છે પરંતુ 1700 ઈમિગ્રન્ટ બહારથી રહેવા આવ્યા છે અને વસતી જાળવી રાખી છે. અમેરિકામાં 2020થી 2023 વચ્ચે 1100થી વધારે કાઉન્ટીમાં ઈમિગ્રન્ટના કારણે જ વસતી ટકી રહી છે અને ઈમિગ્રન્ટ ન હોત તો વસતી ઘટી ગઈ હોત.
131 કાઉન્ટી તો એવી છે જ્યાં જે કોઈ વસતી વધારો થયો તે માત્ર ઈમિગ્રન્ટ્સને આભારી છે. તેથી અમેરિકા માટે ઈમિગ્રેશન કોઈ બોજ નથી પરંતુ ગ્રોથ કરવા માટે એક સાધન સમાન છે. અમેરિકામાં બફેલો, એક્રોન અથવા ડેટ્રોઈટ જેવા શહેરો એક સમયે ઈકોનોમીમાં મહત્ત્વનું યોગદાન આપતા હતા પરંતુ છેલ્લા 30 વર્ષમાં તેની આર્થિક પડતી થઈ છે અને હવે આ શહેરોનો ગ્રોથ થાય તે માટે માઈગ્રેશનને ઉત્તેજન આપવામાં આવે છે. જોકે, જે શહેરોનું કોઈ આર્થિક મહત્ત્વ નથી રહ્યું તેમાં માઈગ્રન્ટને મોકલવાથી કોઈ ફાયદો નહીં થાય, પરંતુ સ્થાનિક લોકો આ શહેરો છોડી રહ્યા છે કારણ કે અહીં તેમને રોજગારી નથી મળતી.
આ શહેરોનો એક ઈન્ડસ્ટ્રીયલ ઈતિહાસ હતો અને હવે તેની પડતી ચાલે છે. અમેરિકનોએ સ્વીકાર્યું છે કે બહારના લોકો નહીં આવે તો અમેરિકાની વસતી ઘટવા લાગશે કારણ કે યુએસનો બાળજન્મદર નીચો છે. ઈકોનોમીને આગળ વધારવી હોય અને ટોચના અર્થતંત્રનું સ્થાન જાળવી રાખવું હોય તો વસતી વધારવી પડે. વસતી ઘટે તો મકાનોના ભાવ ઘટે, ટેક્સની આવક ઘટે, લેબર ફોર્સ ન મળે, વેપાર-ધંધો ચોપટ થઈ જાય. વસતી વધારો જરૂરી છે અને તેના વગર બધી સમસ્યા પેદા થવાની છે તેવું અર્થશાસ્ત્રીઓ કહે છે. અમેરિકામાં એક્સપર્ટ્સનું કહેવું છે કે જે લોકો શરણાર્થી તરીકે આવ્યા છે તેમને રહેવાની છુટ આપો જેથી ઈકોનોમીને વેગ મળે.
લોકોને શરણ આપવાની પ્રક્રિયાને પણ વધારે વેગીલી બનાવવાની જરૂર છે. કારણ કે ઈમિગ્રેશન કોર્ટમાં એઝાઈલમના 30 લાખથી વધારે કેસનો ભરાવો થયો છે અને તેનો ઝડપથી નિકાલ થાય તે જરૂરી છે. જો રાજકીય પાર્ટીઓ આ કામ કરશે અને લોકોને અમેરિકામાં કાયદેસર વસવાની તક આપશે તો તેનાથી અમેરિકન અર્થતંત્રને પણ ફાયદો થશે. કેટલાક લોકો કહે છે કે શરણ માગનારાઓ માટે એક રિસેટલમેન્ટ પ્લાન બનાવવો જોઈએ જેથી ચોક્કસ કોમ્યુનિટીમાં અમુક બિઝનેસ ફરીથી સક્રિય થાય અને લોકોને રોજગારી મળી રહે. જો લોકોને સિક્યોર જોબ આપવામાં આવશે તો માઈગ્રન્ટ પોતે પણ વેપાર ધંધા સ્થાપીને આગળ વધી શકશે અને અમેરિકામાં ઘટતી વસતીની જે સમસ્યા છે તેનો ઉકેલ આવી જશે.

READ ON APP