Hero Image

UKમાં ગેરકાયદે ઘૂસેલા ભારતીય માઈગ્રન્ટ્સની ચિંતા વધીઃ ડિપોર્ટ કરાશે?

UK Rwanda plan to affect Indians: ગેરકાયદે ઘૂસી આવેલા ઈમિગ્રન્ટના કારણે દુનિયાના ઘણા દેશો પરેશાન છે અને તેમાં યુકે પણ સામેલ છે. યુકેમાં ઈંગ્લિશ ચેનલ પાર કરીને દર વર્ષે ઘણા લોકો ઘૂસી આવે છે અને પછી શરણ માગે છે. આ એક જોખમી રસ્તો છે અને ઘણા લોકો દરિયો પાર કરતી વખતે માર્યા જાય છે છતાં ઈલિગલ માઈગ્રેશન અટકતું નથી. યુકે સરકાર આ પરિસ્થિતિથી ત્રાસી ગઈ છે અને તેણે રવાન્ડા ડિપોર્ટેશન પ્લાન તૈયાર કર્યો છે.
તેમાં જે લોકો યુકેમાં ઈલિગલી ઘૂસી આવ્યા હોય તેમને પકડીને રવાન્ડા મોકલી દેવામાં આવશે. યુકેમાં આ એક રાજકીય મુદ્દો બન્યો છે અને રિશિ સુનક સરકાર રવાન્ડા પ્લાન લાગુ કરવા માટે ખરેખર સિરિયસ છે. યુકેમાં ઈલિગલી માઈગ્રેશન કરીને ઘૂસતા લોકોમાં આફ્રિકાના લોકોની સાથે ભારતીયો પણ સામેલ હોય છે. ગયા વર્ષે લગભગ 1200 ભારતીયોએ ઈંગ્લિશ ચેનલનો જોખમી રસ્તો પકડ્યો હતો અને યુકેમાં ગેરકાયદે ઘૂસ્યા હતા. તેથી રવાન્ડા પ્લાન લાગુ થશે ત્યારે ભારતીયોને પણ અસર થાય તેવી શક્યતા છે. તેથી ભારતીય ગેરકાયદે માઈગ્રન્ટ માટે ટેન્શન વધી ગયું છે.
બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનકે રવાન્ડા પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી લીધી છે. મંગળવારે આ માટે સંસદની મંજૂરી પણ મળી ગઈ હતી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જુલાઈથી ડિપોર્ટેશન ફ્લાઈટ શરૂ થઈ જશે. એટલે કે કેટલાક માઈગ્રન્ટને વિમાનમાં બેસાડીને રવાન્ડા મોકલવામાં આવશે. પહેલી જાન્યુઆરી 2022 પછી જે લોકો યુકેમાં ઈલિગલી આવ્યા હશે તેમને આ પ્લાન લાગુ પડશે. રવાન્ડામાં પણ તેમણે પાંચ વર્ષના એગ્રીમેન્ટ હેઠળ રેફ્યુજીના સ્ટેટસ માટે અરજી કરવાની રહેશે. જો આ અરજી સ્વીકારવામાં આવશે તો તેઓ ત્યાં રહી શકશે અને અરજી રિજેક્ટ થશે તો બીજા કોઈ થર્ડ કન્ટ્રીમાં શરણાર્થી તરીકે અરજી કરવી પડશે.
અથવા તો રવાન્ડામાં રહેવા માટે બીજું કોઈ કારણ શોધી કાઢવું પડશે. આમ જે ઈરાદાથી તેઓ યુકે પહોંચ્યા હશે તે તો પાર નહીં જ પડે. મહત્ત્વની વાત એ છે કે રવાન્ડા ગયા પછી કોઈને ફરી યુકે પરત આવવા નહીં મળે. હવે સવાલ એ થાય છે કે યુકેએ ગેરકાયદે ઈમિગ્રન્ટને ડિપોર્ટ કરવાની જરૂર કેમ પડી. યુકે સરકારનું કહેવું છે કે ઈમિગ્રન્ટ સામે પગલાં લેવામાં નહીં આવે તો વધુને વધુ લોકો ઈંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં ઘૂસવાનું ચાલુ રાખશે. પરંતુ જો તેમને પકડીને રવાન્ડા મોકલી દેવામાં આવશે તો નવા લોકો જોખમી રીતે યુકેમાં ગેરકાયદે આવવાનું બંધ કરી દેશે.
રવાન્ડા પ્લાનથી કેટલા ભારતીયોને અસર થશે?વર્ષ 2023ની વાત કરવામાં આવે તો યુકેમાં શરણ માગનારા ભારતીયોની સંખ્યા પહેલી વખત 5000નો આંકડો વટાવી ગઈ હતી. કોવિડ પછી યુકેમાં સૌથી વધુ લોકોએ શરણ માગ્યું હોય તો તેમાં અફઘાનિસ્તાન ટોપ પર છે. અફઘાનિસ્તાનના લોકો તરફથી 9300 અરજીઓ આવી છે. ત્યાર પછી ઈરાનની 7400 અરજીઓ, પાકિસ્તાનમાંથી લગભગ 5300 અરજીઓ અને ભારતમાંથી 5250 અરજીઓ આવી છે. ઈંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં ઘૂસવું એ બહુ ખતરનાક છે. ખાસ કરીને નાની બોટમાં કેપેસિટી કરતા ઘણા વધારે લોકોને ભરીને માફિયાઓ તેમને યુકે પહોંચાડતા હોય છે.
રસ્તામાં ઘણી વખત બોટ ડૂબી જાય ત્યારે સેંકડો લોકો માર્યા જાય છે. છતાં દર વર્ષે 1000થી વધુ ભારતીયો આવા ગેરકાયદે રસ્તેથી યુકે જાય છે. ગયા વર્ષે આવી રીતે 1200 ભારતીયો યુકે આવ્યા હતા. જોકે, અફઘાનિસ્તાનના 5500 લોકો, ઈરાનના 3500 અને યુરોપના જ દેશ તુર્કીથી 3000 કરતા વધુ લોકો આવી બોટમાં બેસીને યુકે પહોંચ્યા હતા. ભારતમાંથી જે લોકો ઈલિગલી યુકે જાય છે તેમાં 18થી 29 વર્ષની વયજૂથના લોકોનું પ્રમાણ વધતું જાય છે જે એક ચિંતાની બાબત છે. 2023માં જે ભારતીયો ઈલિગલી યુકેમાં ઘૂસ્યા તેમાં 19થી 29 વર્ષના યુવાનોનું પ્રમાણ 60 ટકા હતું.
યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર કાયદેસર જવામાં પણ ઘણા નિયંત્રણો લાગુ થયા છે ત્યારે ઈલિગલી ઘૂસનારાઓને તકલીફ પડશે તે હકીકત છે. જુલાઈથી રવાન્ડા પ્લાન લાગુ થાય તો તેમાં કેટલા ભારતીયોનો વારો આવી જાય છે તે જોવાનું રહેશે.

READ ON APP